ખાણમાં કામ કરી રહ્યા હતા મજૂર, ખોદકામમાં મળ્યા બે હીરા અને બની ગયા લખપતિ
મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં એક ગામના મજૂરને ખાણમાંથી બે કિંમતી હીરા મળી આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બંને હીરાની કિંમત આસાર 35 લાખ જેટલી છે.
કહેવાય છે કે ભગવાન જ્યારે પણ આપે છે બે હાથે આપે છે. આવું જ કંઇક મધ્યપ્રદેશના પાંચ મજૂર સાથે બન્યું છે. તેમને ખોદકામ કરતી વખતે ખાણમાંથી બે કિંમતી હીરા મળી આવ્યા હતા.
મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં એક ગામના મજૂરને ખાણમાંથી બે કિંમતી હીરા મળી આવ્યા છે. આ હીરા મળ્યા બાદ કહેવાય છે કે મજૂર અને તેના સાથીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનવા જઈ રહ્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટ સંજયકુમાર મિશ્રાએ સોમવારે જણાવ્યું હતું કે ઇટવા ખાસ ગામના રહેવાસી ભગવાનદાસ કુશવાહ અને તેની સાથે કામ કરતા મજૂરોને સોમવારે ખાણમાં ખોદકામ કરટી વખતે 7.94 કેરેટ અને 1.93 કેરેટના બે કિંમતી હીરા મળી આવ્યા હતા.
તેમણે માહિતી આપી હતી કે માર્ચના બીજા સપ્તાહમાં વહીવટી તંત્ર દ્વારા અન્ય હીરાની સાથે આ બંને હીરાની પણ હરાજી કરવામાં આવશે. હરાજીથી મળેલી રકમમાંથી સરકારની આવક કાપવામાં આવશે અને બાકીની રકમ કુશવાહ અને તેના સાથી કામદારોને આપવામાં આવશે. કુશવાહએ પત્રકારોને જણાવ્યું હતું કે તેણે સ્થાનિક હીરાની ઓફિસમાં બંને હીરા જમા કરાવ્યા હતા. તેણે જણાવ્યું કે આ બે કિંમતી હીરા મળ્યા તે દરમિયાન તેમના સહિત પાંચ કામદારો ખાણમાં ખોદકામ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે આમાંથી મળતી રકમ તેના પરિવારની સમસ્યાઓને દુર કરશે અને નાણાંનો ઉપયોગ બાળકોના શિક્ષણમાં થઈ શકે છે.
નિષ્ણાંતોએ આ હીરાની કિંમત 35 લાખ રૂપિયા સુધી હોવાનો અંદાજ લગાવી રહ્યા છે. મધ્ય પ્રદેશનો પન્ના જિલ્લો હીરાની ખાણ માટે પ્રખ્યાત છે.